R-Add1

Wednesday, December 23, 2015

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે 

ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! 

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને, 

તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે ! 

ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર : 

ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે ! 

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના : 

લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે ! 

કામધેનુને મળે ના એક સૂકું તણખલું, 

ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે ! 

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું, 

ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

--કરસનદાસ માણેક

No comments:

Post a Comment